સવાલ : ધારો કે રિફ્યુલિંગ કરાવતી વખતે પેટ્રોલ એન્જીનવાળી કારમાં ભૂલથી ડીઝલ ભરાવી દેવાય તો શું થાય?


જવાબ :  પહેલી વાત કે આવી ભૂલ થવાનો સંભવ જ નથી. પેટ્રોલ બાળતી આધુનિક બનાવટની લગભગ બધી મોટરોમાં ફ્યુલ ટેન્કના મોઢાની અંદરના ભાગે રિંગ આકારની પડઘી હોય છે. ડીઝલ પમ્પના સહેજ પહોળા નોઝલને તે પડઘી ટેન્કમાં પેસવા દેતી નથી. ફક્ત પેટ્રોલના સાંકડા નોઝલને તેમાં એન્ટ્રી મળી શકે છે. આ સલામતી વ્યવસ્થા મોટાભાગની મોટર સાયકલમા ન હોય, માટે તેમના કેસમાં ભૂલ થવાની ખાસ સંભાવના ન હોવા છતાં શક્યતા તો ખરી.


બીજી તરફ દલીલ પૂરતું એમ કલ્પી લો કે મોટરકારની બાબતમાં પણ આવો લોચો વાગ્યો રિફ્યુલિંગ વખતે પેટ્રોલને બદલે ડીઝલ ભરી દેવામાં આવ્યું, બંને સાવ જુદા પ્રકારનાં બળતણો છે. બિલકુલ પ્રવાહી જણાતા પેટ્રોલ સામે ડીઝલ અત્યંત તૈલી છે. ઉડ્ડયનશીલ ન હોવાના કારણે તે આપોઆપ બાષ્પીભવન પામી વરાળમાં ફેરવાતું નથી. વિશેષ ધનતાને લીધે વજનદાર પણ છે. એક લીટર પેટ્રોલ કરતાં એક લીટર ડીઝલ 120 ગ્રામ જેટલું વધારે ભારે છે.


ભૂલથી ડીઝલ પૂરાવ્યા બાદ ઇગ્નિશન સિસ્ટમ એન્જીનના સિલિન્ડરમાં ડીઝલની પિચકારી રેડે અને સ્પાર્ક પ્લગ તણખો પણ વેરે, પરંતુ ત્યાર પછી કશું થાય નહિ. ડીઝલ વરાળમાં ફેરવાયું ન હોય, માટે તણખાએ વરાળનું દહન કરવાનો સવાલ રહેતો નથી. પરિણામે એન્જીન ચાલુ થતું નથી. ભૂલ સુધારવા માટે ફ્યુલ ટેન્કનું બધું ડીઝલ ખાલી કરી તેમાં પેટ્રોલ ભરવું રહ્યું, ઇગ્નીશન માટે મોટરકાર એ પછીયે તરત સ્ટાર્ટ ન થાય, કેમ કે ફ્યુલ પાઈપમાં કેટલુંક ડીઝલ હોય છે. ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ તેને એન્જીનના સિલિન્ડરમાં ઓકી કાઢે તે પછી જ પેટ્રોલનો સપ્લાય ચાલુ થાય અને તે એન્જીનને ચાલુ કરી દે. દરમિયાન મોટરકારના એન્જીનને કશું નુકશાન થયું હોતું નથી.

Comments